ક્રોધિત સીતા માતાના શ્રાપની સજા કળયુગમાં આજે પણ ભોગવી રહ્યા છે આ ચાર

આપણા પૂર્વજોની આત્માની શાંતિ માટે પિંડદાનની વિધિ કરવી ખૂબ જ આવશ્યક હોય છે. મૃત્યુ બાદ આત્માની શાંતિ માટે શ્રાદ્ધમાં બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવે છે. કારણ કે એવી માન્યતા છે કે આપણા પૂર્વજો શ્રાદ્ધમાં બ્રાહ્મણના રૂપમાં ભોજન કરવા આવે છે અને તેમની આત્માને તૃપ્તિ મળે છે.
પ્રભુ શ્રીરામ અને તેમના ભાઈ લક્ષ્મણ અને પત્નિ સીતાની સાથે વનવાસ જવાની વાત તો આપણે બધા જ જાણીએ છીએ. આ વાતને લઈને અયોધ્યાના બધા જ લોકો દુઃખી હતા. રાજા દશરથ રામ અને લક્ષ્મણના વિયોગનું આ દુઃખ સહન કરી શક્યા નહીં અને તેમનું મૃત્યુ થઈ ગયું. પિતાના મૃત્યુના સમાચાર સાંભળીને રામ અને લક્ષ્મણ સહિત બધાને ખુબ જ આઘાત લાગ્યો હતો.
ત્યારબાદ રામ અને લક્ષ્મણ બંનેએ જંગલમાં જ પિંડદાન કરવાનો નિર્ણય કર્યો. તેના માટે રામ અને લક્ષ્મણ બંને જંગલમાં જ જરૂરી સામગ્રીને એકત્રિત કરવાના ઉદ્દેશ્યથી નીકળી ગયા. આ તરફ પિંડદાનનો સમય નીકળી રહ્યો હતો. સમયના મહત્વને સમજીને માતા સીતાએ પોતાના પિતા સમાન સસરા દશરથનું પિંડદાન એ જ સમયમાં રામ અને લક્ષ્મણની ઉપસ્થિતિ વગર કર્યું.
માતા સીતાએ પુરી વિધિ-વિધાનનું પાલન કરીને તેને સંપન્ન કર્યું. થોડા સમય પછી જ્યારે ભગવાન રામ અને લક્ષ્મણ પરત ફર્યા તો માતા સીતાએ તેમને પૂરી વાત જણાવી અને એવું પણ કહ્યું કે તે સમયે પંડિત, ગાય, કાગડો અને ફાલ્ગુ નદી ત્યાં ઉપસ્થિત હતાં. સાક્ષીના રૂપે આ ચારેય પાસેથી તમે સત્યની જાણકારી મેળવી શકો છો.
શ્રી રામે આ વાતની પુષ્ટિ કરવા માટે જ્યારે આ ચારેયને પૂછ્યું તો તે ચારેય એવું કહીને જૂઠું બોલ્યા કે એવું કંઈ થયું જ નથી. આ વાતને લઈને બંને ભાઈ માતા સીતાથી નારાજ થઈ ગયા. ભગવાન રામ અને લક્ષ્મણને એવું લાગ્યું કે સીતાજી ખોટું બોલી રહ્યા છે.
આ ચારેયની ખોટી વાતો સાંભળીને માતા સીતા ક્રોધિત થઈ ગયા અને તેમને ખોટું બોલવાની સજા આપતા આજીવન માટે શ્રાપિત કરી દીધા. સમગ્ર પંડિત સમાજને શ્રાપ મળ્યો કે પંડિતને ગમે તેટલું મળશે પરંતુ તેમની દરિદ્રતા હંમેશા જળવાઈ રહેશે.
કાગડાને શ્રાપ આપતા કહ્યું કે તેમનું એકલા ખાવાથી ક્યારેય પણ પેટ નહી ભરાય અને તેને આકસ્મિક મોત મળશે. ફલ્ગુ નદી માટે શ્રાપ હતો કે તેમાં પાણી પડવા છતાં પણ નદી ઉપરથી હંમેશા સુકાયેલી રહેશે અને નદીની ઉપર પાણીનું વહેણ ક્યારેય પણ જોવા મળશે નહી.
ગાયને શ્રાપ આપવામાં આવ્યો કે તેમની દરેક ઘરમાં પૂજા થવા છતાં પણ ગાયને હંમેશા લોકોનું એઠું ખાવું પડશે. રામાયણમાં આ કહાનીનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. તમે આજના સમયમાં પણ આ ચારેય પર માતા સીતાના આ શ્રાપના પ્રભાવને જોઈ શકો છો. આ બધી જ વાતો આજે પણ સાચી પડતી નજર આવી રહી છે.